♦ પોરબંદર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયાના સમર્થનમાં સભા : જામકંડોરણામાં મીની રોડ-શો, ખુલ્લી જીપમાં ફર્યા : લોકોને ગરમીથી રાહત આપવા મોદી પંખા અપાયા
રાજકોટ, તા.27
ગુજરાતમાં આગામી તા. 7ના રોજ યોજાનારી લોકસભા ચુંટણી માટેની 25 બેઠકો પર મતદાન પૂર્વે જ આજે સૌરાષ્ટ્રનું બુંગીયુ ફુંકતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોરબંદર મત વિસ્તારના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના પ્રચારમાં જામકંડોરણા ખાતે જાહેર સભાને સંબોધતા કોંગ્રેસને આડે હાથે લેવા સાથે તેમણે જણાવ્યું હતું કે દેશમાં 65 વર્ષ કોંગ્રેસે વોટ બેંકનું રાજકારણ કર્યુ છે.
છેલ્લા દસ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની સરકારે જે જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા છે અને હવે વિકસીત ભારતના લક્ષ્યાંક માટે ફરી એક વખત કમળનું બટન દબાવીને નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું કામ આપણે સૌએ કરવાનું છે. આજે રાજકોટ વિમાની મથકે ખાસ હેલીકોપ્ટરમાં જામકંડોરણા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહનું મનસુખભાઇ માંડવીયા તેમજ જેતપુર ધોરાજી વિસ્તારના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા સહિતના અગ્રણીઓએ સ્વાગત કર્યુ હતું.
બાદમાં તેમણે એક સભા સંબોધતા પૂર્વે જામકંડોરણામાં મીની રોડ-શો કર્યો હતો અને માર્ગની બંને બાજુ હજારો લોકોએ શાહનું અભિવાદન કર્યુ હતું. બાદમાં તેમણે સભાને સંબોધતા કહ્યું કે પ્રથમ બે તબકકાના મતદાનથી રાહુલ બાબાના સુપડા સાફ થઇ ગયા છે અને હવે ગુજરાતમાં તમામ ર6 બેઠકો માટે દેશમાં 400 પારનો નરેન્દ્રભાઇનો નારોએ વાસ્તવિકતા બનવા જઇ રહ્યો છે.
અમિત શાહે કહ્યું કે, આજે હું પોરબંદરમાં પ્રથમ સભા કરૂ છું પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે એક સમયે પોરબંદરમાં કોંગ્રેસની સરકારને જેલ બંધ કરવાની ફરજ પડી હતી અને પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થા એ સરકાર નહીં માફીયાઓના હાથમાં હતી પરંતુ 2001માં નરેન્દ્રભાઇ ગુજરાતના મુખ્યમંત્રી બનતા પોરબંદરની જેલ શરૂ કરાવી અને માફીયાઓને તેમાં સ્થાન આપી દીધુ હતું.
શાહે રાષ્ટ્રીય મુદાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે કાશ્મીરને ખાસ દરજજો આપતી કલમ 370 કોંગ્રેસ ખોળામાં રાખીને બેઠી હતી અને વોટ બેંકની રાજનીતિ કરી હતી તો બીજી તરફ 70 વર્ષ સુધી રામ મંદિર મુદો લટકાવી રાખ્યો હતો અમે કલમ 370ની નાબુદીની વાત કરી તો કાશ્મીરમાં લોહી રેડાશે તેવી ધમકી આપી હતી અને 5 ઓગષ્ટ 2019ના દિવસે જયારે આ ખરડો લઇને હું ઉભો થયો તો રાહુલ બાબાએ પણ કાશ્મીરમાં લોહીની નદીઓ વહશે તેવું જણાવ્યું હતું.
પરંતુ એક પથ્થર પણ ફેંકાયો નહીં. તેમણે સર્જીકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, પાકિસ્તાન એ ભુલી ગયું હતું કે ભારતમાં હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છે અને અમે તેમને સબક શીખવ્યો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy