રાજકોટ, તા.29
સૌરાષ્ટ્ર-ગુજરાતના સીનીયર નેતા અર્જુન મોઢવાડીયા કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે અને પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર પણ છે છતાં વિપક્ષી નેતા તરીકેના ભાષણની આદત છૂટતી ન હોય તેમ જીભ લપસતી જતી હોય અને છબરડા વાળતા હોય તેવો ઘાટ ઘડાયો છે.
અર્જુન મોઢવાડિયા હવે ચૂંટણી સભામાં એવું બોલી ગયા હતા કે ઇન્કમટેક્સ, સીબીઆઇ અને ઇડી ટાર્ગેટ કરે એટલે નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય જાય છે. જામકંડોરણામાં અમીત શાહની હાજરીમાં ભાજપની સભામાં અર્જુન મોઢવાડિયા આવું બોલી ગયા હતા.
એકવાર નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત તેમની જીભ લપસી હતી અને ભાજપના ઉપસ્થિત અન્ય નેતાઓ પણ સ્તબ્ધ બન્યા હતા. તેઓએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં એમ કહ્યું હતું કે, દેશ બદલી રહ્યો છે પણ કોંગ્રેસ બદલવા તૈયાર નથી તે માટે ‘ઉપરના લોકો’ શું વિચારે છે તેને જ ધ્યાનમાં રાખે છે.
ઉદાહરણ આપવામાં તેઓ એવું બોલી ગયા હતા કે ઇડી, સીબીઆઇ, ઇન્કમટેક્સ ટારગેટ કરે છે એટલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે. પોતે તો જાહેરમાં ભાજપના નેતાઓની વિરુધ્ધમાં બોલ્યા છે પરંતુ મારા ઘરે ક્યારેય પોલીસ પણ નથી આવી. ભાજપની પ્રશંસા કરતા કહ્યું કે, ભાજપને દરેક વ્યકિતમાં સારપ દેખાય છે પરંતુ હું પહેલા જ્યાં હતો ત્યાં એક વ્યકિત સિવાય કોઇ સારા નથી દેખાતા.
આ સિવાય પણ મોઢવાડિયાએ ત્રણ વખત બોલવામાં ભૂલ કરી હતી. 2024ના બદલે 2007માં ત્રીજી વખત ભાજપ સરકાર બનવા જઇ રહ્યાનું બોલી ગયા હતા. જામકંડોરણાને બદલે રાણા કંડોરણા બોલી ગયા હતા. ગુજરાતની 26 બેઠકોને બદલે 36 સીટ કરી દીધી હતી. પછી ભૂલ સુધારીને 26માંથી એક બેઠક બીનહરિફ થઇ હોવાથી 25 બેઠક પર કમળ ખીલવાનું જાહેર કર્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy