અમદાવાદ,તા.26
સુરેન્દ્રનગર જીલ્લાના લીમડીની કોર્ટમાં કાર્યરત જજ દ્વારા બોગસ સહી કરીને અન્ય બે જજના રાજીનામાપત્ર સોંપવાના અત્યંત ચર્ચાસ્પદ પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે.
સપ્ટેમ્બર 2021ના આ પ્રકરણમાં લીમડીમાં સીવીલ જજ તથા ફર્સ્ટ કલાસ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ તરીકે કાર્યરત જજના રાજીનામાપત્ર પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજને મોકલાવાયા હતા. એક એડીશ્નલ સેશન્સ જજ તરીકે તથા બીજા ફર્સ્ટકલાસ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ તરીકે કાર્યરત હતા. પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજે તેઓને એકાએક રાજીનામા આપવા પાછળનું કારણ પુછતા તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેઓને કોઈ રાજીનામાપત્ર આપ્યા ન હોવાનો ખુલાસો કર્યો હતો.
આ ઘટનાને પગલે બન્ને જજ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસની તપાસમાં સીવીલ જજે બોગસ સહીથી રાજીનામાપત્ર તૈયાર કર્યાનો ભાંડો ફુટયો હતો. સમગ્ર કેસમાં ભાંડો ફુટી જતા સીવીલ જજ દ્વારા હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવવા પ્રયાસ કર્યો હતો. વડીઅદાલતે આગોતરા જામીન ફગાવતા સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી જે પેન્ડીંગ છે.
બનાવટી સહી કરીને બે જજના રાજીનામાપત્ર મોકલાવ્યાનો જે જજ સામે આક્ષેપ છે તેઓ 2013માં બે વર્ષના પ્રોબેશન ગાળા સાથે જયુડીશીયલ સર્વિસમાં જોડાયા હતા. હાઈકોર્ટે પ્રોબેશન ગાળો લંબાવી દીધો હતો. આ ગાળામાં નાણાકીય ગેરવહીવટના પણ આક્ષેપ થયા હતા. બે જજની કમીટીની તારીખમાં દોષિત કર્યા હતા અને હાઈકોર્ટે પણ તપાસ રીપોર્ટને સ્વીકૃતિ આપી હતી.
જો કે, તેમની જયુડીશીયલ સર્વિસ વિશે હાઈકોર્ટની વહીવટી પાંખ દ્વારા કોઈ નિર્ણય લેવાયો ન હતો. 2022માં જજને બરતરફ કરવામાં આવ્યા હતા. નબળા પરફોર્મન્સ તથા અન્ય ફરિયાદોનું કારણ આપવામાં આવ્યુ હતું. જજ દ્વારા બરતરફીના આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. 2018 પછી પરફોર્મન્સમાં સુધારો હોવાનો રેકર્ડ રજુ કરાયો હતો. જજના વકિલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે 2018 સુધીના પરફોર્મન્સના આધારે બરતરફીનો નિર્ણય થયો છે એટલુ જ નહી તેમને બચાવની-ખુલાસા કરવાની પણ કોઈ તક આપવામાં આવી ન હતી.
જજને અગાઉ જ કેમ બરતરફ ન કરાયા તેવા હાઈકોર્ટના સવાલ પર એવો જવાબ અપાયો હતો કે ઈન્કવાયરી પેન્ડીંગ હોવાથી અગાઉ હકાલપટી કરાઈ ન હતી. હાઈકોર્ટના વકિલ દ્વારા બોગસ સહીવાળા અન્ય બે જજના રાજીનામાપત્ર પેશ કરાયા હતા. આ પ્રકારના કૃત્યો જ ચાલી ન શકે તેવી દલીલ કરી હતી.
જજના વકીલે એવી દલીલ કરી હતી કે એફઆઈઆર લક્ષ્યમાં લેવાતી હોય તો 2018 પછીના પરફોર્મન્સને પણ ધ્યાને લેવા જોઈએ અને તે સંજોગોમાં બરતરફીનું કોઈ કારણ રહેતુ નથી. આ કેસમાં હાઈકોર્ટે બરતરફીને લગતો ચુકાદો અનામત રાખ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy