પાટણ,તા.29
પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ મોદીની ભાજપ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ઉદ્યોગપતિઓનું દેવું માફ થઈ શકે છે તો ખેડુતોનું દેવું કેમ માફ ન થઈ શકે? અદાણીને જમીન, જંગલ, એરપોર્ટ, સોલાર પાવર બધુ આપી દેવામાં આવે છે તો ગરીબો ખેડુતોને કેમ નહીં, રાહુલે અગ્નિવીર યોજનાને દેશના જવાનોનું અપમાન ગણાવી કહ્યું હતું કે આ સ્કીમ આર્મી તરફથી નહીં મોદીની ઓફિસેથી આવી છે.
કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વધુમાં વધુ મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરવા રાહુલ ગાંધી પાટણની મુલાકાતે આવ્યા હતા. જેને પગલે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
તો બીજી તરફ રાહુલ ગાંધીના રાજા મહારાજાઓ વિશે કરેલા નિવેદનના વિરોધમાં પાટણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ટી.બી. ત્રણ રસ્તા ખાતે કાળાવાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેથી પોલીસે 12 લોકોની અટકાયત કરી હતી.
રાહુલે જણાવ્યું હતું કે, દેશના યુવાન જયારે સેનામાં જોડાય ત્યારે દેશ ભક્તિની ભાવનાથી જોડાય છે, પણ મને લાગે છે કે અગ્નિવીર યોજના દેશના જવાનોનું અપમાન છે. અમે આ સ્કીમને રદ કરીશું. કારણ કે આ સ્મીક આર્મી તરફથી નહીં, મોદીની ઓફિસેથી આવી છે અને આનાથી દેશને નુકસાન થાય છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દર મહિને મહિલાઓના ખાતામાં રૂપિયા આપીશું, રૂપિયા મહિલાઓના ખાતામાં જશે કેમકે તેઓ ડબલ કામ કરે છે. અમારી યોજના ‘પહેલી નોકરી પકકી’માં બેરોજગાર યુવાનને નોકરી મળશે. કરોડો યુવાનોને મહિને આઠ હજાર રૂપિયા અને ટ્રેનીંગ મળશે.
રાહુલે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી 16 લાખ કરોડનું દેવું માફ કરી શકે છે તો અમે પણ કરી શકીએ છીએ. પણ એમના જેવા ઉદ્યોગપતિઓનું નહીં. દેશની ગરીબ જનતાનું... 21મી સદીમાં મહિલા-પુરુષો બંને કામ કરે છે એના માટે એમને સેલેરી મળે છે પણ હકીકત એ છે કે મહિલાઓને આઠ કલાક નહીં 16 કલાક કામ કરવું પડે છે. એમને નોકરીથી ઘરે આવીને પણ કામ કરવું પડે છે. અમે મહાલક્ષ્મી યોજના લાવી રહ્યા છીએ.
રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યો હતો કે તમે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા જોઈ જે ધામધૂમથી કરવામાં આવી, પણ તેમાં એક પણ ગરીબ જોવા મળ્યો? એક પણ ખેડૂત જોવા મળ્યો. રાષ્ટ્રપતિ આદિવાસી છે. રામમંદિરનું ઉદઘાટન થયું. પાર્લામેન્ટનું ઉદઘાટન થયું પણ રાષ્ટ્રપતિને અંદર પણ જવા ન દીધા. કેમ કારણ કે તેઓ દલિત છે.
ટીવીમાં 24 કલાક નરેન્દ્ર મોદીનું ભાષણ ચાલે છે અને અદાણીના પૈસા બને છે. એ જ ખબર નથી પડતી કે આ દેશમાં કોની કેટલી આબાદી છે. આદિવાસીઓ કેટલા છે, દલિતો કેટલા છે? આ બધાનો સર્વે જ નથી થતો.
મીડીયામાં, સરકારમાં આ લોકો છે કે નહી એનો સર્વે થવો જોઈએ. એનડી ટીવી સારી લાગી તો પણ લઈ લીધી. મીડીયાના મિત્રો ખોલીને નથી બોલી શકતા. કારણ કે એ બોલે તો એમને કાઢી નાંખવામાં આવે. એમનો પગાર અટકી જાય.
રાહુલે આક્ષેપ કર્યો હતો કે, દેશની ટોપ કંપનીઓ છે એમાં કોઈ દલિત નથી, કોઈ આદિવાસી નથી. 90 લોકો દેશની સરકાર ચલાવે છે અને મોદીજી સાઈન કરે છે, એ લોકો પૈસે વેચે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy