રાજકોટ, તા. 29
ભરઉનાળાની ઋતુમાં રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જતા કાળઝાળ ગરમીથી જનજીવન અને પશુ-પંખીઓ ઉપર અસર જોવા મળી રહી છે. આજે બપોરે 2.30 કલાકે લઘુતમ તાપમાન 40.2 ડિગ્રી સાથે આકરો તાપથી શહેરીજનોએ મોટા ભાગે કામ સિવાય બહાર નીકળવાનું ટાળ્યું હતું.
ગઇકાલે રવિવારે લઘુતમ તાપમાન 40.8 ડીગ્રી નોંધાયા બાદ આજે પણ બપોરે પારો 40 ડિગ્રીને પાર જતા આકરા તાપથી રાજકોટવાસીઓ અકળાઇ ઉઠયા હતા. બપોરે રાજમાર્ગોમાં ટ્રાફિકમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
કાળઝાળ ગરમીથી બચવા ટોપી-ચશ્મા, મોઢે રૂમાલ, માસ્ક લગાવી, ઘર-ઓફિસમાંથી બહાર નીકળતા નજરે પડતા હતા. 24 કલાક ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગો બપોરે સુમસામ ભાસતા હતા.
ગરમીમાં સતત વધારો થતા ઠંડા પીણા, આઇસ્ક્રીમની માંગમાં વધારો નોંધાયો છે. ગરમી સામે રક્ષણ આપતા ઠંડા પીણા, લસ્સી, શેરડીનાં રસ, આઇસ્ક્રીમ, ગોલાનો સહારો લઇ શહેરીજનો ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે. બપોરે પવનની ગતિ મંદ પડતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા હજુ આગામી બે દિવસ ગરમીમાં વધારો થાય તેવી હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy