નવી દિલ્હી, તા.27
લોકસભાની ચૂંટણીમાં મતદાન વધારવાના ભરચક્ક પ્રયાસો છતાં સતત બીજા તબકકામાં પણ મતની ટકાવારી ઓછી રહેતા ચૂંટણીપંચની ચિંતામાં વધારો થયો છે.
ચૂંટણી પંચના સૂત્રોએ બીજા તબકકામાં 88 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 64.2 ટકા મતદાન નોંધાયું હતું. અંતરિયાળ ભાગોના ડેટા આવવાના બાકી હોવા છતાં તેમાં હવે મામૂલી વૃદ્ધિ શક્ય છે. આ સંજોગોમાં 2019ની સરખામણીએ 4 થી 5 ટકા ઓછું મતદાન રહેવાની આશંકા છે. 2019માં આ બેઠકો પર સરેરાશ 69.64 ટકા મતદાન રહ્યું હતું.
લોકસભાની ચૂંટણી સાત તબકકામાં યોજાવાની છે. 19 એપ્રિલે 102 બેઠકો પર પ્રથમ તબકકાનું મતદાન થયું હતું. તેમાં પણ 2019ની સરખામણીએ ઓછી રહી હતી. સરેરાશ 66 ટકા મતદાન રહ્યું હતું. ઓછા મતદાનથી ચૂંટણી પંચ ચિંતિત બન્યું હતું. બાકીના તબકકામાં મતદાન વધારવા માટે વધુ ગંભીર પ્રયત્નો કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું કે, શુક્રવારે બીજા તબકકામાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ તથા બિહાર એવા ત્રણ રાજ્યોમાં મતદાનની ટકાવારી ઓછી રહી હતી. મહારાષ્ટ્રમાં 59.6 ટકા, બિહારમાં 57 ટકા તથા ઉત્તર પ્રદેશમાં 54.6 ટકા મતદાન થયું છે. 2019માં આ ત્રણેય રાજ્યોમાં સરેરાશ 62 થી 63 ટકા મતદાન થયું હતું. ગઇકાલે 88 બેઠકો પરના મતદાનમાં કુલ 16 કરોડ મતદારો હતા.
લોકસભાની કુલ 543 બેઠકોની ચૂંટણીમાં તે તબકકામાં 190 બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે એટલે કે એક તૃતીયાંશ બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. રાજસ્થાન, કેરળ, ત્રિપુરા અને મણીપુરની તમામ બેઠકોમાં ચૂંટણી પૂર્ણ થઇ છે. પ્રથમ તબકકામાં 10 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચૂંટણી પૂર્ણ થઇ હતી. આમ હવે કુલ 15 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી પૂર્ણ થઇ છે.
રાજસ્થાનમાં પ્રથમ તબકકામાં 12 અને બીજા તબકકામાં 13 બેઠકો પર મતદાન થયું હતું. ગઇકાલે 13 બેઠકો પર સરેરાશ 67.15 ટકા મત પડ્યા હતા જે 2019ની ચૂંટણીમાં 79 ટકા હતું.
કર્ણાટકમાં 28માંથી 14 બેઠકો પર મતદાન થઇ ગયું છે. જ્યાં 68.38 ટકા મત પડ્યા હતા. 2019માં આ બેઠકો પર 67 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની બાકીની 14 બેઠકો પર હવે 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્રિપુરાની એક સીટ પર ગઇકાલે યોજાયેલા મતદાનમાં 79.59 ટકા મત પડ્યા હતા જે ટકાવારી 2019માં 82.9 ટકા હતી.
બીજા તબકકાની ચૂંટણી મતદાનના આખરી આંકડા હજુ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. અંતરિયાળ સહિતના ભાગોના ડેટા આવી ગયા બાદ પણ તે 66 ટકા રહી શકે તેમ છે. 2019ની સરખામણીએ ચારેક ટકા ઓછુ મતદાન રહે તેમ છે.
બીજા તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીતનો વિશ્વાસ દર્શાવ્યો હતો. ટવિટમાં તેઓએ એમ કહ્યું કે, મતદારોએ એનડીએની તરફેણમાં મહત્તમ મતદાન કર્યું છે અને વિપક્ષોમાં નિરાશા છે. મતદારો એનડીએનું સુશાન ઇચ્છે છે.
ત્રિપુરામાં એક સાથે 26 ચૂંટણી કર્મચારીઓ સસ્પેન્ડ
બીજા તબકકામાં પૂર્વ ત્રિપુરાની બેઠક પર મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. સરેરાશ 80.32 ટકા મત પડ્યા હતા. તેમાં થોડો વધારો શક્ય છે. બે સ્થળોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર થયો હતો. 92 ફરિયાદોનો નિકાલ થયો હતો. બીજી તરફ આચાર સંહિતા ભંગ બદલ 26 ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy