નવી દિલ્હી,તા.29
શહેરોથી માંડીને ધોરી માર્ગો પર ભાંગી જતા રસ્તા-ખાડાઓને કારણે વખતોવખત ઉહાપોહ સર્જાતો હોય છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા રસ્તા પરના ખાડા આપમેળે જ બુરાઈ જાય તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ભારતમાં રસ્તા પરના ખાડાને કારણે પ્રાણઘાતક અકસ્માતોનું પ્રમાણ પણ ઘણુ વધુ છે.ત્યારે આ નવી ટેકનોલોજી માર્ગ દુર્ઘટના રોકવામાં પણ મદદ કરશે.માર્ગ નિર્માણમાં વપરાતો ડામર ઉખડી જાય તો ફરી ખાડાના સ્થળે જ ચોટી જાય તેવી આ ટેકનોલોજી છે.
નેશનલ હાઈવે ઓથોરીટીનાં એક સીનીયર અધિકારીએ નામ નહિં દેવાની શરતે એમ જણાવ્યું હતું કે રસ્તા પરના ખાડાની સમસ્યા નિવારવા માટે માર્ગનું આયુષ્ય વધારવાની સાથોસાથ ભાંગેલા માર્ગ આપમેળે રીપેર થાય તેવી ટેકનોલોજી અપનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. નવી ટેકનોલોજી અંતર્ગત ખાડો પડે તે ઉખડી ગયેલો ડામર જ ફરી તે પુરી દે તેવી ક્ષમતા હશે.
તેઓએ ચોખવટ કરી હતી કે આ ટેકનોલોજી અપનાવતા પૂર્વે તે પાછળના ખર્ચ સહીતના મુદાઓની સમીક્ષા કરવામાં આવશે. આ ટેકનોલોજીથી રસ્તાનું આયુષ્ય વધવા ઉપરાંત જાળવણી સમારકામની કોઈ જરૂર નહિં રહે. ટ્રાફીકમાં અવરોધ અટકશે તથા ખાડાનાં કારણે સર્જાતા ભીષણ અકસ્માતો રોકી શકાશે.
ભારતમાં તુટેલા રોડ કે ખાડાઓને કારણે માર્ગ અકસ્માતની સંખ્યા વર્ષો વર્ષ વધી રહી છે. 2020 માં 3625 ની સરખામણીએ 2022 માં 4446 અકસ્માતો સર્જાયા હતા અને 1856 લોકોના મોત નિપજયા હતા. જે સંખ્યા આગલા વર્ષ કરતાં 25.3 ટકા વધુ હતી.
કોંકરી-ધુળમાં જવલનશીલ ધાતુનો પદાર્થ ભેળવીને ડામર બનાવવામાં આવતો હોય છે. સમય જતા જવલનશીલ પદાર્થની ક્ષમતા ઘટે છે અને ડામર ભાંગવા લાગે છે. પરીણામે માર્ગ પર ખાડા સર્જાય છે. નાના ખાડા ધીમે ધીમે મોટા થવા લાગે છે.
નવી ટેકનોલોજી માર્ગ પરના ડામરની તીરાડ જ રોકશે અને તે સર્જાય તો ડામરથી જ બુરાઈ જશે. ડામર બનાવવામાં વપરાતા જવલનશીલ પદાર્થમાં લોખંડના નાના ટુકડા ઉમેરવામાં આવશે.
2024-25 નાં વર્ષ માટે માર્ગ પરિવહન હાઈવે મંત્રાલય દ્વારા માત્ર રસ્તાઓની જાળવણી સમારકામ માટે જ 2600 કરોડનું બજેટ ફાળવ્યુ છે. 2023-24 માં પણ આટલો જ ખર્ચ થયો હતો. 2022-23 માં 2573.66 કરોડનો ખર્ચ થયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy