► હાલ પણ દેશના મોટા ભાગના ક્ષેત્રોમાં તીવ્ર તાપમાન : કેરળમાં લુ લાગવાથી બે લોકોના મોત : પ્રિ-સ્કુલો બંધ કરી દેવાઇ
નવી દિલ્હી, તા. 29
ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આગામી દિવસોમાં યોજાનારા બે તબકકામાં 191 બેઠકો પરના મતદાન પૈકી 186 સંસદીય મત વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ સર્જાવાની સંભાવના છે અને તેનાથી મતદાન પ્રભાવિત થઇ શકવાની આશંકાના કારણે ચૂંટણી પંચ એલર્ટ બન્યું છે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, આવતા દિવસોમાં પૂર્વ-દક્ષિણ અને મધ્ય ભારતના ભાગોમાં ભીષણ ગરમીનો રાઉન્ડ સર્જાઇ શકે છે અને આ ક્ષેત્રોમાં ત્રીજા અને ચોથા તબકકાના મતદાન થવાના છે. પશ્ચિમ બંગાળ, ઓડીસા, બિહાર, ઝારખંડના કેટલાક ભાગોમાં લુ અને ભીષણ લુની સ્થિતિ સર્જાશે. રાયલશી, આંતરીક કર્ણાટક, આંધ્રપ્રદેશ તથા તેલંગણાના કેટલાક ભાગોમાં આકરી ગરમી રહેશે.
આગામી બે તબકકામાં મતદાનમાં 191 બેઠકો પર મતદાન યોજાવાનું છે. જેમાંથી 186 બેઠકોના મત વિસ્તારોમાં ભીષણ ગરમીની સ્થિતિ રહેવાની સંભાવના છે. 136 સંસદીય મત ક્ષેત્રોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાનું અનુમાન છે. આ સ્થિતિમાં લોકો મતદાન કરવા માટે ઘરની બહાર નીકળવામાં ઉદાસીન રહે તો મતદાન પર અસર થઇ શકે છે.
દેશના અનેક ભાગોમાં અત્યારે પણ ભીષણ ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે. ગુજરાતમાં મોટા ભાગના સેન્ટરોમાં મહતમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ રહ્યું છે અને હજુ તેમાં કોઇ નોંધપાત્ર રાહત મળવાની સંભાવના નથી. મહારાષ્ટ્રમાં પણ અનેક ભાગોમાં મહતમ તાપમાન રવિવારે 40 ડિગ્રીને પાર થઇ ગયું હતું. સોલાપુરમાં 43.7 ડિગ્રી નોંધાયું હતું.
પશ્ચિમી અને મધ્ય ભારતના ભાગોમાં સૌથી વધુ તાપમાન નોંધાઇ રહ્યું છે. રાયગઢ, મુંબઇ અને થાણેમાં લુની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બીજી તરફ કેરળમાં ભીષણ ગરમીનો રાઉન્ડ યથાવત રહ્યો છે જેમાં લુને કારણે એક મહિલા સહિત બે લોકોના મોત નિપજયા હતા. હવામાન વિભાગે આવતા પાંચ દિવસમાં રાજયના 1ર જિલ્લામાં ઉંચુ તાપમાન રહેવાની ચેતવણી આપી છે અને પ્રિ-સ્કુલો બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
કાશ્મીરમાં હિમવર્ષા : પ્રવાસીઓ ફસાયા
દેશના મોટા ભાગના ક્ષેત્રો ભીષણ ગરમીના દૌરમાં સપડાયા છે ત્યારે કાશ્મીરમાં એકાએક હિમવર્ષા થઇ હતી જેને પગલે અમુક માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ગુરેજ ખીણ અને બાંદીપુરાના પર્વતીય ભાગોમાં હિમ વર્ષા થઇ હતી અને તેમાં સંખ્યાબંધ પ્રવાસીઓ ફસાઇ ગયા હતા.
જોકે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક તેઓને ઉગારવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને સુરક્ષીત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હિમવર્ષા સાથે તોફાની વાતાવરણમાં 35 વાહનો અટવાઇ ગયા હતા. તેમાં સવાર તમામ પ્રવાસીઓને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy