કોલકતા તા. 8
દેશમાં કોરોના સંક્રમણ હવે તેની મહત્મ ગતી ઉપર છે અને તેની સાથે જ પ.બંગાળમાં ધારાસભા ચુંટણીઓમાં પણ ત્રણ તબકકાના બાદના મતદાન માટેનો જબરો જંગ શરુ થઇ ગયો છે તે સમયે રાજયમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહીતના ભાજપ નેતાઓ તથા પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને અન્ય રાજકીય નેતાઓ કોરોનાના ડર વગર જંગી રેલીઓ, સભાઓ તથા અન્ય આયોજનો કરી રહયા છે તેનાથી ચુંટણીના આખરી તબકકા સમયે રાજયમાં કોરોના બોમ્બ ફાટવાનો ભય નિષ્ણાંતોએ વ્યકત કર્યો છે. દેશભરમાં એક તરફ વડાપ્રધાન અનેક રાજયના મુખ્યમંત્રીઓ લોકોને કોરોના પ્રોટોકોલ પુરો પાડવા માટે સલાહ આપી રહયા છે. જયારે બીજી તરફ આ જ નેતાઓ પ.બંગાળ અને ચુંટણીમાં જઇ રહેલા અન્ય રાજયોમાં ચુંટણીપંચે જે હાલની સ્થિતીમાં પ્રચાર માટે પ્રોટોકોલ નિશ્ર્ચિત કર્યા છે તેનો ખુલ્લેઆમ ભંગ કરી રહયા છે. રાજયમાં વેકસીનેશનમાં પણ ચુંટણીના કારણે ધીમી ગતી છે અને આથી કોરોના સામેની લડાઇથી પ.બંગાળ બાકાત હોય તેવી સ્થિતી છે. મમતા બેનરજીએ એક મુલાકાતમાં કહયુ હતુ કે અન્ય રાજયો કરતા પ.બંગાળની સ્થિતી સારી છે. અમે નસીબદાર છીએ અને વડાપ્રધાનને ચુંટણી પહેલા વેકસીનેશનમાં પ.બંગાળને અગ્રતા આપવા વીનંતી કરી હતી. મારી સરકાર વેકસીનના નાણા ચુકવવા પણ તૈયાર હતી. પરંતુ મોદી ઇચ્છે છે કે ભલે પ.બંગાળના લોકો મરે તેઓએ રાજયમાં વેકસીનેશન શરુ કર્યુ ન હતુ. મમતાએ ચુંટણી પહેલા બે વખત વડાપ્રધાનને પત્ર લખીને આ પ્રકારની માંગણી કરી હતી. તા. 8 એપ્રીલના રોજ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મુદો ઉઠાવાયો હતો. દરમ્યાન પ.બંગાળમાં પાટનગર કલકતામાં નવી લહેરનો પ્રભાવ જોવા મળી રહયો છે અને કેસ વધ્યા છે. તેથી ચુંટણી પુરી થતા જ પ.બંગાળમાં કોરોના બોમ્બ ફાટશે તેવો ભય છે.
પંચની આંખો ઉઘાડવા પ્રયાસ : પ.બંગાળમાં જે રીતે રાજકીય નેતાઓ લોકોના સ્વાસ્થ્યની ચિંતા વગર પોતાના ચુંટણી સ્વાર્થને આગળ ધરીને પ્રચાર કરી રહયા છે તેની સામે કેટલાક બૌધ્ધિકોએ ગઇકાલે કોલકતામાં ચુંટણીપંચની ઓફીસ સમક્ષ પીપીઇ કીટ પહેરીને દેખાવો કર્યા હતા અને હજુ પણ સમય છે નેતાઓની રેલી રોકો જો તેમ ન થઇ શકે તો ચુંટણી થંભાવો તેવી માંગણી સાથે માર્ગ પર દેખાવકારો સુઇ ગયા હતા.