નવી દિલ્હી તા. 8 : દેશમાં ગત વર્ષે લોકડાઉન આવતા જ જે રીતે હવાઇ સેવાઓ બંધ થઇ ગઇ હતી અને તેને કારણે દેશના લાખો મુસાફરોના હવાઇ ટીકીટના નાણા એરલાઇન અથવા બુકીંગ એજન્ટો પાસે ફસાઇ ગયા હતા તેમા કેન્દ્ર સરકારે હવે તમામ એરલાઇનને આ રકમનું રીફંડ આપવા આદેશ આપ્યો છે. નાગરીક ઉડયન મંત્રાલય દ્વારા એરલાઇન કંપનીઓ સાથે મીટીંગ કરી હતી. રદ થયેલી ફલાઇટના જે ટીકીટના નાણા હતા તે અનેક એરલાઇનોએ ક્રેડીટ શેલના નામ હેઠળ જમા કરી લીધા હતા. અને મુસાફરોની માંગણી છતા પરત આપ્યા નથી. ગઇકાલે નાગરીક ઉડયન મંત્રાલયે તમામ સાથે બેઠક બોલાવી હતી અને લોકડાઉન સમયે અને કેન્દ્રના નિયંત્રણ સમયે જે ફલાઇટ કેન્સલ કરવી પડી હતી તેમાં મુસાફરોને નાણા પરત ચુકવવા આદેશ આપ્યો છે. જોકે ઇન્ડીગો અને ગો એર સહીતની કંપનીઓએ તેઓ દ્વારા મુસાફરોને રીફંડ અપાઇ ગયુ હોવાનું જણાવાયુ હતુ. એર ઇન્ડીયાએ હજુ પણ એક પણ મુસાફરને નાણા ચુકવ્યા નથી. જયારે સ્પાઇસ જેટ અને એર એશીયા દ્વારા પણ રીફંડ અપાયુ નથી.