રાજકોટ તા.7
ઢેબર કોલોનીમાં નારાયણનગરમાં રહેતા પરિણીતાના બે દિવસ પહેલા ગુમ થયા બાદ આજે સવારે કિશાન ગૌશાળા પાસેથી આજીડેમનાં ખાડામાંથી લાશ મળી આવતાં અરેરાટી મચી ગઇ છે. પરિણીતા ગુમ થયાની ભકિતનગર પોલીસ મથકમાં ગુમ નોંધ કરાઇ હતી. આ અંગે હાલ આજીડેમ પોલીસે કાગળ કાર્યવાહી કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નારાયણનગરમાં રહેતા ગજરાબેન કિશનભાઇ સલાટ (ઉ.વ.22) નામના પરિણીતા સોમવારનાં સવારના સમયે પોતાના ઘરેથી દુધ લેવા જાવ છું તેમ કહી ગયા બાદ પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી અને ગજરાબેન મળી ન આવતાં ભકિતનગર પોલીસ મથકમાં ગુમ નોંધ થઇ હતી. ત્યારબાદ આજે સવારનાં સમયે કિશાન ગૌશાળા પાસે આજીડેમ પાસે ખાડામાંથી લાશ પડી હોવાની જાણ થતાં આજી ડેમ પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ત્યાં જ આજુબાજુમાં પરિણીતાનાં પરિવારજનો આવી પહોંચતા મૃતદેહ ઓળખી બતાવ્યો હતો. ગજરાબેનના લગ્નને બે વર્ષ થયા છે. તેને સંતાનમાં બે જુડવા દિકરી છે. પોતે દુધ લેવાનું કહીને ગયા બાદ પરત ન ફરતાં પરિવારે શોધખોળ કરી હતી. પતિ ચાદર અને ઓછાડ વહેંચતા હોવાનું જાણવા મળ્યું છે. ગજરાબેનનાં મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.