નવી દિલ્હી તા.1
ચીન સાથે તનાવ બાદ કેન્દ્ર સરકાર રણનીતિક દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ કાશ્મીર-લેહ વચ્ચે 339 કિલોમીટર લાંબો બે લેનવાળા ગ્રીન ફિલ્ડ રાષ્ટ્રીય રાજમાર્ગ (હાઈવે) બનાવવા જઈ રહી છે. અર્થાત કાશ્મીરથી લેહ સુધી નવો રાષ્ટ્રીય રાજમાર્ગ બનશે જે પડોશી દેશની બોર્ડરને સમાંતર વિકસીત કરવામાં આવશે.આ સડક યોજના દેશનાં સૌથી ઉંચા અને જટીલ અને દુર્ગમ પહાડી ક્ષેત્રોમાંની એક છે. નવા રાજમાર્ગથી માત્ર કાશ્મીર જ નહિં બલકે કાશ્મીર, લેહ, લદાખની સ્થાનિક આમ જનતાને પણ સુવિધા મળશે. ઉપરાંત સૈન્ય વાહન, હથીયાર, સૈન્ય તંત્ર, સશસ્ત્ર દળોનું પાકિસ્તાન-ચીન બોર્ડર, સુધી ઝડપથી આવાગમન સંભવ થશે.ખાસ બાબત એ છે કે દેશના બોર્ડર રોડ સાથે સંકળાયેલ મોટાભાગની યોજનાઓ સીમા સડક બનાવે છે પરંતુ ઉકત યોજનાઓ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં જાહેર ઉપક્રમે રાષ્ટ્રીય રાજમાર્ગ તેમજ અવસંરચના વિકાસ નિગમ (એનએચઆઈડીસીએલ) બનાવશે. સરકારે કાશ્મીરનાં ટિટવાલથી લેહના દ્રાસ વચ્ચે 339 કિલોમીટર ગ્રીનફીલ્ડ રાષ્ટ્રીય રાજમાર્ગ (નવો રાજમાર્ગ) બનાવવાનો ફેંસલો કર્યો છે.