રાજકોટ, તા. રર
બિહારના જમુઇ જીલ્લામાં આવેલ લછવાડ ખાતે શ્રી ક્ષત્રિય કુંડ મહાતીર્થ આવેલ છે. જૈન શાસનના મહાન જયોતિર્ધર, અનેક તીર્થોદ્ધારક, કલિકાલ કલ્પતરૂ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્ર્વરજી મહારાજાના પટ્ટાલંકાર પૂ. શાસન પ્રભાવક, ક્ષત્રિયકુંડ, કૌશાંબી તીર્થોઘ્ધારક આચાર્ય દેવ શ્રીમદ વિજય નયવર્ધનસૂરીજી મ. આદિની પાવન નિશ્રમાં ક્ષત્રિય કુંડ જૈન તીર્થની પ્રથમ સાલગીરા નિમિતે તા. ર4ના બુધવારથી તા.ર6ના શુક્રવાર સુધી ત્રિદિવસીય શ્રી જિનેન્દ્ર ભકિત મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ગત તા. 18મીના ગુરૂવારે સવારે સતરભેદી પૂજા તથા શિખરો પર ધ્વજારોહણ કરવામાં આવેલ.
ગત વર્ષે શાશ્ર્વત પ્રતિષ્ઠાના તેર તેર દિવસ સુધી ક્ષત્રિય કુંડ તીર્થનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ આ. શ્રી નયવર્ધનસૂરીજી મ. આદિ વિશાળ સંખ્યામાં પધારેલ શ્રમણ શ્રમણીજીઓ તથા ભાવિકોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો.
તા.ર4મીના બુધવારે સવારે કુંભ સ્થાપન, પાટલા પૂજન, શ્રી વર્ધમાન શક્રસ્તવ વગેરે અનુષ્ઠાન યોજાશે. તા.રપમીના ગુરૂવારે સવારે શ્રી શાંતિધારા અભિષેક, શ્રી વીરવંદના સાથે પુષ્પાંજલી તથા શ્રી નૂતન રચિત વીર પંચકલ્યાણક પૂજા ભણાવાશે.
તા.ર6મીના શુક્રવારે શ્રી સત્તરભેદી પૂજા અને શ્રી પ્રભુ શિખર (મુખ્ય)નો ધ્વજારોપણ ઉત્સવ ઉજવાશે તથા શ્રી લઘુશાંતિ સ્નાત્ર મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ક્ષત્રિય કુંડ તીર્થ પહોંચ્યા છે.