જામનગર તા.26:
26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ પર સમગ્ર વિશ્વની નજર ભારતના પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ પર રહેલી હોય છે દેશની આર્થિક, સાંસ્કુતિક અને લશ્કરી તાકાતનું પ્રદર્શન રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર કરવામાં આવે છે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપે છે આ વર્ષના પ્રજાસત્તાક પર્વ પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પહેરેલી પાઘડી જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા તેમને ભેટ આપવામાં આવી હતી.
જામનગરના રાજવી પરિવારનું વૈશ્વિક સ્તરે વિશેષ આદર છે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ, ઇન્દિરા ગાંધી, મોરારજીભાઇ દેસાઇ, લાલબહાદુર શાસ્ત્રી અને મનમોહનસિંહ તેમજ અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભાઇ પટેલ સાથેના રાજવી પરિવારના સબંધો ગાઢ રહ્યા છે, દેશના રક્ષામંત્રી જયોર્જ ફર્નાન્ડીશ જયારે પણ જામનગરની મુલાકાતે આવતા ત્યારે અચુક જામસાહેબ શત્રુશલ્યસિંહજી સાથે તેમના નિવાસસ્થાન પર મુલાકાત કરતા હતા, દેશના એકમ સમયે પણ સૌરાષ્ટ્રના રજવાડાઓને એકજૂથ કરવાનું કાર્ય જામ દિગ્વિજયસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું.
નરેન્દ્રભાઇ મોદી અને જામસાહેબ શત્રુશલ્યસિંહજીના ગાઢ સબંધો નરેન્દ્રભાઇ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ જોવા મળતા હતા જામનગરમાં 26 જાન્યુઆરી રાજયકક્ષાની ઉજવણી પ્રસંગે અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન ( ક્રિકેટ બંગલા)માં યોજાયેલા કાર્યક્રમમાં જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા નરેન્દ્રભાઇ મોદીને પાઘડી ભેટ ધરવામાં આવી હતી પાઘડી પહેરતા સમયે પાઘડી સરખી પહેરાવવામાં થોડી મુશ્કેલી બાદ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જાહેરમાં કહ્યું હતું કે પાઘડી તો માપની જ બનાવવામાં આવી છે પણ જામસાહેબની હાજરીથી અને તમારા બધાના આટલા પ્રેમથી મારૂ માથું આજે મોટું થઇ ગયું છે ત્યારબાદ સદભાવના કાર્યક્રમમાં પણ નરેન્દ્રભાઇ અને જામસહેબના ગાઢ સબંધો લોકોને જોવા મળ્યા હતા જયારે નરેન્દ્રભાઇએ જામસાહેબના પ્રવચન બાદ કહ્યું હતું કે મારી કામગીરીને જામસાહેબ દ્વારા બિરદાવવામાં આવી હવે મારે કોઇ સર્ટીફીકેટ કે એવોર્ડની જરૂર નથી. આ પ્રસંગે પણ જામસાહેબ દ્વારા નરેન્દ્રભાઇને હાલારી પાઘ ભેટ કરવામાં આવી હતી.
આજે જયારે દિલ્હીના લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ત્યારે તેઓ જામનગરના રોયલ ફેમેલી જામસાહેબ સાથેના તેમના સબંધોને ફરી તાજા કરતા લાલ રંગની બાંધણીવાળી પાઘડી પહેરી હતી. જે તેઓને જામનગરના રાજવી પરિવાર દ્વારા ભેટ કરવામાં આવી હતી, જાસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા હાલારી પાઘ (પાઘડી) ખૂબ મહત્વ ધરાવે છે તેઓ પણ જયારે કોઇ મહત્વના અને મોટા કાર્યક્રમમાં હાજરી આપે છે ત્યારે ખાસ પાઘડી ધારણ કરે છે વડા પ્રધાન દ્વારા જામનગરની પાઘડી પહેરી ધ્વજવંદન કરવામાં આવતા જામનગરવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.