રાજકોટ, તા. 23
ગુજરાત રાજય સરકારે ટુંક સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ધ્યાનમાં લઇ ચૂંટણીના કામ માટે મહત્વના એવા સૌરાષ્ટ્ર-કચ્છના 6 સહિત રાજયના ર0 મામલતદારોની બદલીના હુકમો કર્યા હોવાનું મહેસુલ વિભાગના નાયબ સચિવ અમિત ઉપાધ્યાયે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં ચીટનીશ તરીકે ફરજ બજાવતા અશોક ત્રિવેદીને રાજકોટ પૂર્વ વિભાગના મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. જોકે તેમને ચીટનીશની હાલની ફરજનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
ગુજરાત રાજયના મહેસુલ વિભાગના નાયબ સચિવે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 6 અને રાજયના ર0 મામલતદારોની બદલીના કરેલ હુકમમાં ભાવનગરનાં ડી.એ.રવિયાને મામલતદાર ભાવનગર શહેરમાં, ચિરાગ વડોદરીયાને જુનાગઢથી કલેકટર કચેરી મામલતદાર જુનાગઢ, અશોક એમ. ત્રિવેદી ચીટનીશ ટુ કલેકટરને રાજકોટ પૂર્વ વિભાગ મામલતદાર, એમ.આર.ડોડીયાને અમરેલી શહેર મામલતદારમાંથી બદલીને વડીયા મામલતદાર, બી.એચ.ઝાલાને મામલતદાર ધ્રાંગધ્રાથી બદલીને ભચાઉ મામલતદાર જયારે ભચાઉ મામલતદાર કે.જી.વાછાણીને બદલી ધ્રાંગધ્રા મામલતદાર મુકવામાં આવ્યા છે.
દરમ્યાન રાજય સરકારે આ ઉપરાંત મામલતદારોની બદલીના હુકમો કર્યા છે તેમાં એ.એચ.સેરસીયા, એચ.એચ. પંજાબી, એસ.એન.સોની, એસ.આર. બારીયા, એસ.કે.ગઢવી, વી.કે.અંતિયા, શ્રીમતી કે.આર.ચૌધરી, શ્રીમતી એન.એન.સવાણી, કુમારી માધવી ડી. મિસ્ત્રી, શ્રીમતી રેખાબેન મોઢા, હાર્દિક સતાસીયા, એન.બી.મોદી અને એન.બી.રાઠોડને બદલીના હુકમો કર્યા છે. આ તમામ મામલતદારોને ગુજરાત રાજયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને ધ્યાનમાં લઇ બદલવામાં આવ્યા છે. ચૂંટણી પુરી થયે આ તમામ મામલતદારોએ પોતાની મુળ જગ્યાએ ફરજ પર હાજર થવાનું રહેશે તેવું અંતમાં જણાવાયું છે.