ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે રાજ્યસભાના સાંસદ અને ખંભાળિયાના મૂળવતની પરિમલભાઈ નથવાણીના આર્થિક સહયોગથી વિનામૂલ્યે જરૂરિયાતમંદો માટે મોતિયો ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા ક્રિષ્ના હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને ડો. નીરવભાઈ રાયમગીયા દ્વારા વિનામૂલ્યે મોતિયોના ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ઓપરેશન બાદ પહેરવાના ચશ્મા તથા જરૂરી દવાઓ પણ દરેક દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા સંસ્થાના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, પંકજભાઈ પંડ્યા, ડોક્ટર રાજેશભાઈ ઠક્કર, મિલનભાઈ સાયાણી, સંજયભાઈ બરછા, નિશિતભાઈ પાબારી, અને પ્રોજેક્ટ ચેરમેન ડો. નીરવભાઈ રાયમગીયાએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. લાભાર્થી દર્દીઓએ સંસ્થા તથા દાતા અને સાંસદ પરિમલભાઈ નથવાણીના આભારની લાગણી વ્યક્ત કરી હતી.