પુણે:
ગુરુવારે મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના ટર્મિનલ ગેટ નંબર ૧ પર આગ લાગતા ૫ લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે ફરી માહિતી મળી રહી છે કે, તે જ બિલ્ડિંગના એક ઓરડામાં ફરીથી આગ લાગી છે. આગને કાબૂમાં લેવા માટેના ૧૫ ફાયર ફાઇટર હજુ બચાવ માટે કાર્યમાં લાગ્યા છે. વધુ માહિતીની હવે રાહ જોઈ રહી છે. આ દરમિયાન સીરમ ઇન્સ્ટિટ્યૂટએ જીવ ગુમાવનાર વ્યક્તિઓના પ્રત્યેક પરિવારને ૨૫ લાખની સહાયની જાહેરાત કરી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં અગ્નિ અકસ્માતમાં થયેલ મોત દુર્ભાગ્યપૂર્ણ છે. મારી વ્યથા અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.
આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયામાં આગને કારણે થયેલા મોતથી હું ખૂબ દુ:ખી છું. આ દુ:ખની ઘડીમાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, તેના પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થઈ જાય. આ પહેલા આગની ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, શરૂઆતમાં એવું લાગે છે કે શોટસર્કિટને કારણે આગ લાગી હશે. જોકે વેક્સિન હજુ સુરક્ષિત છે.
મળતી માહિતી મુજબ પુણેના પૂજારી મંજરીમાં આવેલા એસઆઈઆઈના નવા પ્લાન્ટમાં આજે સવારે આગ લાગી હતી. 300 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં મોટા પાયે કોરોના વેક્સિન કોવિશિલ્ડનું ઉત્પાદન કરવાની યોજના છે. ગયા વર્ષે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન દ્વારા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. તેમ છતાં પ્લાન્ટમાં હજુ સુધી રસીનું ઉત્પાદન શરૂ થયું નથી.
■ તપાસના આદેશ અપાયા
આગની ઘટના અંગે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે તપાસના આદેશ આપ્યા છે. દરમિયાન મહારાષ્ટ્ર મુખ્યમંત્રી કાર્યાલયએ કહ્યું છે કે, ઉદ્ધવ ઠાકરે સ્થળની મુલાકાત લેશે. ઠાકરે શુક્રવારે બપોરે ત્યાં જઇને પરિસ્થિતિની સમીક્ષા કરશે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેના જણાવ્યા મુજબ, ચાલી રહેલા કેટલાક વેલ્ડિંગ કામના કારણે બિલ્ડિંગમાં આગ લાગી. તેમણે કહ્યું હતું કે કાર્યસ્થળ નજીક જ્વલનશીલ સામગ્રી રાખવામાં આવી હતી, જેના કારણે આ ઘટના બની હતી.