રાજકોટ, તા.21
રાજ્ય સરકાર દ્વારા જમીન ઉપર ગેરકાયદે થઈ જતાં કબજાને અટકાવવા માટે એન્ટી લેન્ડ ગ્રેબિંગ નામના કાયદાને અમલી બનાવી દીધો છે અને આ કાયદા હેઠળ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે અને અનેક ભૂમાફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. દરમિયાન આ કાયદા હેઠળ પકડાયેલા એક આરોપીના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કરતાં હવે આ મુદ્દે રાજ્યના અન્ય શહેરોમાં પણ આરોપીઓ છૂટકારો મેળવવા હવાતિયા મારવા લાગે તેવી સંભાવના છે.
અમદાવાદમાં રહેતાં હરીશ શેઠ દ્વારા એક આસામી દ્વારા 1987માં અશાંતધારાના કાયદા હેઠળ અહેમદ પટેલ નામની વ્યક્તિને મિલકત વેચી હતી. આ પછી 2006માં હરીશ શેઠનું મૃત્યુ નિપજ્યા બાદ તેમના પુત્ર પ્રણવ શેઠે અહેમદ પટેલ સામે અશાંતધારાના કાયદા હેઠળ વાંધો વ્યક્ત કર્યો હતો.
ત્યારપછી પ્રણવ શેઠે એન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ અહેમદ પટેલ સામે જાન્યુઆરી મહિનામાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ફરિયાદના આધારે અહેમદ પટેલની ધરપકડ કરી હતી. હજુ ધરપકડ થયાને બે મહિના પણ પૂર્ણ થયા નથી ત્યારે આરોપી અહેમદ પટેલના પુત્ર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ અરજી દાખલ કરવામાં આવી હતી જેના આધારે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જારી કરાયેલા સ્પેશ્યલ કોર્ટના રિમાન્ડ ઓર્ડરને રદ્દ કરીને જામીન મંજૂર કર્યા હતા.