રાજકોટ, તા.20
ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં સ્વરકિન્નરી બા.બ્ર.પૂ. સોનલબાઇ મહાસતીજીની 63મી જન્મ જયંતિ પ્રસંગે આજે સવારે સોનલ સદાવ્રત સમારોહ યોજાયો હતો તેમાં 16 વસ્તુઓનું વિતરણ સાથે બધાને રૂા.70ની પ્રભાવના કરવામાં આવેલ હતી. નાલંદા તીર્થધામમાં છેલ્લા 19 વર્ષથી સોનલ સદાવ્રત અખંડ-અવિરતપણે ચાલી રહેલ છે. પૂ. ઇન્દુબાઇ મહાસતીજી ચોકને આજે 8 વર્ષ પૂર્ણ થયેલ છે.
બધા શુભેચ્છકોને બદામ તથા રૂા.70ની પ્રભાવના હતી. દયાના દેવી દુ:ખિયાના બેલી માનવતાના મહાસાગર સમા કોમ્પ્યુટર માઇન્ડ ધરાવતા એવા સોનલબાઇ મહાસતીજીને બધા સાધર્મિક બંધુઓ તથા ચંદ્રભકત મંડળ, શાલીભદ્ર સેવા ગ્રુપ, સોનલ સેવા મંડળ, સોનલ સાહેબી મંડળ, સોનલ સેવા ટીમ, સોનલ સખી મંડળ આદિ વિશાળ સમુદાયે અભિનંદન પાઠવેલ હતા. તેમજ દિર્ધાયુષની ભાવના ભાવી હતી. ‘જુગ જુગ જીવો’ના નારા સાથે ‘હર્ષ-હર્ષ’ ‘જય-જય’થી તીર્થધામ ગુંજી ઉઠયું હતું.
તીર્થધામની એ વિશેષતા છે કે દર વર્ષે કંઇક નવું-નોખુ અને અનોખુ આયોજન કરેલ છે. છેલ્લા 19 વર્ષ થયા સોનલ સદાવ્રત, સોનલ સારવાર સહાય, સોનલ શૈક્ષણિક સહાય, સોનલ સેવા મંડળ, સોનલ સીનીયર સીટીઝન આ બધાનો આજે સ્થાપના દિન છે. સોનામાં સુગંધ ભળે તેમ આજે ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામનો સ્થાપના દિવસ છે. તીર્થધામને 22 વર્ષ પૂર્ણ થયા.
કાલાવડ રોડ મધ્યે ઇન્દુબાઇ મહાસતીજી ચોકના નામકરણને 8 વર્ષ પૂર્ણ થતાં નાલંદા તીર્થધામમાં આનંદ, ઉમંગ, ઉત્સાહ છવાયો હતો. ‘ઇન્દુબાઇ સ્વામી અમર રહો’ના નાદથી નાલંદા તીર્થધામ ગુંજી ઉઠયું હતું. મધુર વ્યાખ્યાની બા.બ્ર.પૂ. શ્રી રંજનબાઇ મહાસતીજીએ સોનલબાઇ મહાસતીજીને આર્શિવચન આપતા ફરમાવ્યું હતું કે તમે શાસન અને સંપ્રદાય તેમજ ગુરૂની આન-બાન અને શાન વધારી આત્માનંદી બનો. ‘સોન સતી જુગ જુગ જીવો’ના નારાથી તીર્થધામ ગાજી અને ગુંજી ઉઠયું હતું.
દુ:ખીયાના બેલી ઘણું જીવોની શુભેચ્છાઓ આપી હતી આ પ્રસંગે દાતાઓ-આગેવાનો, સંઘના પદાધિકારીઓ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે સી.એમ. શેઠ, અશોકભાઇ દોશી, જયેશભાઇ માવાણી, નિલેશભાઇ શાહ, જયેશભાઇ સંઘાણી, પ્રદિપભાઇ માવાણી, ભુપેન્દ્રભાઇ મહેતા, જંકશન સેવા ગ્રુપ યુવક મંડળ સોનલ સેવા મંડળ આદિ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.