રાજકોટઃ :
આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ‘રોજગાર સેતુ’ અને ‘ઓનલાઇન ભરતી મેળા પખવાડિયા’નો પ્રારંભ કરવામાં આવ્યો. હવે રાજ્યના યુવાનોને રોજગારલક્ષી તમામ માહિતી આંગળીના ટેરવે મળી રહેશે.
રોજગાર અને તાલીમ નિયામકના જણાવ્યા મુજબ રોજગાર સેતુ થકી રાજ્યનો યુવાન ઘરે બેઠા જ ૬૩-૫૭-૩૯૦-૩૯૦ નંબર ડાયલ કરી ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારની માહિતી મેળવી શકશે. રાજ્યના કોઈ પણ જિલ્લાની રોજગાર કચેરીની સેવાઓ સહિતની તમામ પ્રકારની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી તથા સ્વરોજગારી વિષયક નાણાંકીય, સાધન સહાય વિશેની માહિતી પણ મેળવી શકશે. આમ, રાજ્યનો કે રાષ્ટ્રનો કોઈ પણ યુવા કોલ સેન્ટરના માધ્યમથી જિલ્લા રોજગાર કચેરી સાથે સીધો સંવાદ કરી માહિતી મેળવી શકશે.
૬૩-૫૭-૩૯૦-૩૯૦ નંબર ડાયલ કર્યા પછી ૧ થી ૪ અંક દબાવવાથી રોજગાર કચેરીઓની સેવાઓ અંગે તથા ૫ અંક દબાવવાથી ઉમેદવાર કાઉન્સેલર સાથે સીધો સંવાદ કરી શકશે. સંવાદ પૂર્ણ થશે એટલે તુરંત મેસેજથી ઉમેદવારને રોજગાર કચેરીની વિગતો મળશે. આ કોલ સેન્ટરમાં રાજ્યભરમાંથી ૭૫ જેટલા કાઉન્સેલર સેવાઓ આપશે. રાજ્યનો યુવા પોતાની અભિરૂચિ, શક્તિઓ, યોગ્યતા અને વ્યક્તિત્વના લક્ષણો મુજબ કારકિર્દી કે સેવાની પસંદગી કરી શકે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર તા.૧૨ જાન્યુઆરીથી ૨૫ જાન્યુઆરી દરમિયાન ઓનલાઇન ભરતી મેળા પખવાડિયાની ઉજવણી કરી રહી છે. જેમાં ૨૭૦ ઓનલાઇન ભરતી મેળા યોજાશે અને ૬૦૦ જેટલા નોકરી દાતાઓ દ્વારા ૨૫૦૦૦ થી વધુ ઉમેદવારોને રોજગારીની સુવર્ણ તક આપવામાં આવશે. રાજ્યના યુવાઓને કારકિર્દી ઘડતરમાં ચોક્કસ દિશા મળે તે માટે ‘મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના’- માહિતી પુસ્તિકા પણ રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે.