ભાવનગર તા.13
ભાવનગર ખાતેની વિભાગીય નાયબ નિયામક કચેરીના વેકસીનેશન સ્ટોર ખાતે આજે સાંજે 6 કલાકે કોવિડ વેકસીન કોવિશિલ્ડના 60 હજાર ડોઝ અમદાવાદથી આવી પહોંચ્યા હતા.જે અંગે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમા આજે સવારે લગભગ 2.76 લાખ જેટલા કોરોના વેકસીનના ડોઝીઝ આવ્યા છે જે પૈકી ભાવનગરમા પણ વેકસીનની ફાળવણી થયેલી છે.જે વેકસીન ડોઝ આરડીડીના વેરહાઉસ ખાતે સ્ટોરેજ કરવામાં આવ્યા છે. ભાવનગર ખાતેથી બોટાદ, અમરેલી, ગીર સોમનાથ તથા જૂનાગઢ ખાતે આ ડોઝ પહોંચતા કરવામાં આવશે. વેકસીનેશન માટે ભાવનગર જિલ્લામાં કુલ 10 વેકસીન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. જ્યાથી પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કસને વેકસીન આપવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિક વિસ્તારમા 5 સ્થળોએ તથા ભાવનગર ગ્રામીણ વિસ્તારમાં પણ 5 સ્થળોએ વેકસીન આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અંદાજે 15,000 જેટલા સરકારી તથા ખાનગી ક્ષેત્રે જોડાયેલા હેલ્થકેર વર્કરોને પહેલા તબક્કામા વેકસીન આપવાનું શરૂ કરાશે. જિલ્લા કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે વેકસીનેશન અંગેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જે માટે પૂરતા પ્રમાણમાં આઇએલઆર સ્ટોરેજ કેપેસિટી, વેકસીનેટર, તાલીમબદ્ધ સ્ટાફ, ગૃપ સહિતની વેકસીનેશન અંગેની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. 16 મી તારીખે રાજ્ય સરકારનો આદેશ મળતાની સાથે તુરંત જ વેકસીનેશનની કાર્યવાહી શરૂ શરૂ કરવામાં આવશે.