દ્વારકા, તા. 1
દ્વારકા નજીક જગતમંદિરમાં દ્વારકાધીશના દર્શન કરી પરત ફરતા ભાવિકોને અકસ્માત નડયો હતો. આ ઘટનામાં ત્રણ પુરૂષ અને એક મહિલાનું મોત નિપજયું છે. પુરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને હડફેટે લીધી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો.
મળતી વિગતો મુજબ એક પરિવાર દ્વારકાથી દર્શન કરી પરત પોતાની કારમાં ફરી રહ્યો હતો ત્યારે જામનગર-દ્વારકા રોડ પર ધેવાડ ગામ નજીક પુરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને હડફેટે લેતા કારમાં સવાર ત્રણ પુરૂષના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ટુંકી સારવારમાં જ તેમને દમ તોડી દીધો હતો.
અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો. બીજી તરફ માહિતી મળતા પોલીસ અને 108ની ટીમ દોડી આવી હતી. મૃતદેહોને પોસ્ટમાર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાયો ત્યારે હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ટ્રાફિકને પૂર્વવર્ત કર્યો હતો. તેમજ અકસ્માત અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.