રાજકોટ,તા. 27
આજી ડેમ ચોકડી પાસે માધવવાટીકામાં રહેતા મહિલાને તેમના પુત્રવધુએ સોડામાં ભેળવી ઝેરી દવા પીવડાવી ઘરમાં રહેલી રોકડ અને દાગીના લઇ માવતર અમદાવાદ જતી રહી હતી જ્યારે મહિલાને અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે આજી ડેમ પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી કરી હતી.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, માધવવાટીકામાં રહેતા વિદ્યાબેન રામકુમાર રાજપૂત (ઉ.45) નામના મહિલાને તેમના પુત્રવધુ પૂજાબેન રાજુભાઈ રાજપૂતે સોડામાં ભેળવી ઝેરી દવા પીવડાવી દેતાં તેમને સિવિલમાં ખસેડાયા છે. આ બનાવમાં પુજાબેનના પતિ રાજુભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પૂજા સાથે 2016માં લગ્ન થયા હતા. તેનું માવતર અમદાવાદ છે. અવારનવાર ઝઘડો કરી માવતર જતી રહે છે.
અગાઉ એકાદ વર્ષ પહેલા મને અમદાવાદ રહી કામ કરવાનું અને તેના માતા-પિતાને સાચવવા માટે ઝઘડો કર્યો હતો જેથી તેને આ મામલે ના પાડતાં તેના માવતરે જઇ કોર્ટમાં છુટાછેડા આપી દીધા. બાદમાં બંને વચ્ચે થોડી મહિનામાં સંપર્ક થતા ફરી બંનેએ કોર્ટ મેરેજ કર્યા અને રાજકોટમાં જ સાથે રહેવા લાગ્યા હતાં. અને સંતાનમાં એક પુત્રની પ્રાપ્તિ થઇ હતી. અવારનવાર અમદાવાદ રહેવાનું કહેતા ઝઘડો થયો હતો.ગઇકાલે માતા વિદ્યાબેન એકલા હતા ત્યારે પત્ની પૂજાબેને ઝઘડાનો ખાર રાખી સોડામાં ઝેરી દવા પીવડાવી દીધી હતી. અને ઘરનાં કબાટમાં રાખેલો સોના-ચાંદીના દાગીના ભરેલો ડબ્બો તેમજ રૂા. બે લાખની રોકડ લઇ ગઇ હતી. આજુબાજુમાં વિસ્તારવાસીઓ જણાવતા હતા કે કોઇ ઇકો ગાડીમાં હતું તેની આપે પૂજાબેનને જતા જોયા છે. આથી હાલ આજી ડેમ પોલીસે કાર્યવાહી આદરી છે.