નવી દિલ્હી તા.27
ભારતે અંતરિક્ષમાં એક વધુ ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-2 પછી અંતરિક્ષમાં ભારતની આંખ ગણાતી કાર્ટોસેટ ઉપગ્રહોની સિરીઝની નવીનતમ ત્રીજી પેઢીના ઉપગ્રહ કારોસેટ-3નું આજે શ્રી હરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. એ સાથે અમેરિકાના 13 નેનો-ટચકડા ઉપગ્રહ પણ લોંચ કરવામાં આવ્યા હતા.
આ અગાઉ, કાર્ટોસેટ સિરીઝમાં આઠ ઉપગ્રહો અવકાશમાં છોડવામાં આવ્યા હતા.
ઈસરોના વડા ડો. કે.સિવને જણાવ્યું હતું કે પીએસએલવી-સી47 ચોકકસાઈથી અન્ય 13 ઉપગ્રહો સાથે ભ્રમણકક્ષામાં મુકયું છે. માર્ચ સુધીમાં અમારી પાસે 13 મિશન છે, એમાં 6 મોટા વ્હીકલ મિશન અને 7 સેટેલાઈટ મિશન છે.
1625 કિલોગ્રામ વજનના કાર્ટોસેટ-3ને 509 કિલોમીટર દૂરની ભ્રમણકક્ષામાં તરતો મુકવામાં આવ્યો છે. આ ઉપગ્રહની આયુ પાંચ વર્ષની રહેશે.
ઉપગ્રહ માટે ઈસરોએ મંગળવારે સવારે 7.28 કલાકે કાઉન્ટડાઉન શરૂ કર્યું હતું. કાર્ટોસેટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ એવો ઉપગ્રહ છે. જેનાથી પૃથ્વીની સાફ તસ્વીર લઈ શકાશે. એની તસ્વીર એટલી સાફ હશે કે કોઈ વ્યક્તિના હાથમાં આવેલી ઘડીયાળનો સમય પણ જોઈ શકશે. આ ઉપગ્રહનું મુખ્ય કામ અંતરિક્ષમાંથી ભારતની જમીન પર નજર રાખવાનું છે.
આ અગાઉ એપ્રિલ અને જેમાં 2 સર્વેલન્સ સેટેલાઈટ લોંચ કરવામાં આવ્યા હતા. 22 મેએ સર્વેલન્સ સેટેલાઈટ રીસેટ 2બી અને 1 એપ્રિલે ઈએચઆઈસેટ લોંચ કરવામાં આવ્યા હતા. આ મુખ્ય કામ દુશ્મનોના સ્તર પર નજર રાખવાનો છે.
કાર્ટોસેટ-3ને અંતરિક્ષમાં લઈ જનાર ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણયાન એટલે કે પીએસએલવીનું સી47મું સંકરણ હશે.