નવી દિલ્હી તા.25
કલાયમેટ ચેન્જ તથા પાણીની અછતનો વખતોવખત ઉહાપોહ થાય છે ત્યારે એવો ચોંકાવનારો રીપોર્ટ બહાર આવ્યો છે કે દેશમાં 22 ટકા ભુગર્ભ જળ ખેંચાઈ ગયુ છે અથવા વધુ પડતુ ખેંચી લેવામાં આવ્યુ છે.
કેન્દ્રીય જળશક્તિ વિભાગના પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે જળસ્ત્રોતનો કરકસરયુક્ત ઉપયોગ કરવાની જરૂર છે. કૃષિક્ષેત્રમાં 10 ટકા પાણીનો બચાવ કરવામાં આવે તો પણ આવતા 50 વર્ષો સુધી તમામને પર્યાપ્ત પાણી મળી શકશે.
કેન્દ્રીય ભુગર્ભ જળ નિગમના રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે 6881માંથી 1499 ક્ષેત્રોમાં ભુગર્ભ પાણી વધુ માત્રામાં ખેંચાઈ ગયુ હોવાનું માલુમ પડયું છે. 1186 ક્ષેત્રોમાં પાણી વધુ પડતુ ખેંચાયુ છે જયારે 313 ક્ષેત્રોમાં કટોકટીના તબકકે છે. ભુગર્ભ જળ ઉપાડવાની પેટર્ન બદલવા માટે તાત્કાલીક પગલા લેવા રીપોર્ટમાં ભાર મુકવામાં આવ્યો છે.
આ ક્ષેત્રોમાં દર વર્ષે જેટલો જળભંડાર થાય છે તેનાથી અધિક પાણી ખેંચી લેવામાં આવે છે ત્યારે પાણી ઉપાડવાની પેટર્ન પર અંકુશ મુકાવો જોઈએ. જળસંચાલન માટે શ્રેણીબદ્ધ પગલા લેવાની આવશ્યકતા ઉભી થઈ છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશમાં ઉપલબ્ધ જળસ્ત્રોતોમાંથી 89 ટકા ઉપયોગ માત્ર કૃષિક્ષેત્ર જ કરે છે. ખેડુતોમાં જાગૃતિ સર્જવા અને તેઓની મદદે પહોંચવાની જરૂર છે. ડ્રીપ અને સ્ત્રીંકલર સિંચાઈ પદ્ધતિનો મહતમ ઉપયોગ કરીને ઓછા પાણીએ વધુ પાક મેળવવો જોઈએ.
ગત અઠવાડીયે પોતે ઈઝરાયેલના પ્રવાસે ગયા હતા. કૃષિ-સિંચાઈ ક્ષેત્ર વિશે માહિતી મેળવી હતી. ભારતીય કૃષિ વિભાગે ઈઝરાયેલ પાસેથી ઘણુ શિખવા જેવુ છે. ઓછા પાણીની ખેતી ઘણી મહત્વની છે.
દેશમાં વધુ પડતુ પાણી ખેંચી લેનારા સૌથી વધુ 541 ક્ષેત્રો તામીલનાડુમાં છે. રાજકારણમાં 218 તથા ઉતરપ્રદેશમાં 139 છે.